શ્રદ્ધા અને નિશ્ચિતતા એકસમાન નથી હોતી
સ્ટીફન લ્યૂઇસ દ્વારા,
મારા માટે સ્પષ્ટ થયું કે જીવનના ઉથલપાથલ ભરેલા મોજા (વિષમ પરિસ્થિતિઓ) પર આપણું નિયંત્રણ નથી, પરંતુ કદાચ આપણે વધુ મજબૂત નાવ બનાવવાનું શીખી શકીએ. મને એક સારી નાવ જોઈતી હતી — એક પવિત્ર નાવ. હું આ મારા માટે અને મારા લોકો માટે — મારી દીકરીઓ, મારી માતા અને મારા પરિવાર માટે — બનાવવા માગતો હતો, જેથી આપણે જીવનની કઠોર પરિસ્થિતિઓમાં વિખેરાઈ ન જઈએ. તેથી હું શોધમાં નીકળ્યો.
મને જે સમજાયું તે આ છે: માનવ હોવાના અનુભવ સાથે દુઃખ જોડાયેલું જ હોય છે, અને માણસનો દૃષ્ટિકોણ નક્કી કરે છે કે તે તેને કેવી રીતે અનુભવે છે અને તેનો સામનો કરે છે. દુઃખ માનસિક-શારીરિક (psycho-somatic) પીડા છે, એટલે કે તે મન, શરીર અને આત્મા પર અસર કરે છે. ક્યારેક દુઃખ પેઢી દર પેઢી સુધી ચાલતું હોય છે, જેને જિનેટિક અથવા પરિસ્થિતિજન્ય કહી શકાય. તે ક્યારેક આપણા અચેતન મનમાં અને શરીરની સ્મૃતિમાં છુપાયેલું રહે છે, જેમ બાળકોની "છુપા-છુપી" રમતમાં હોય એમ. જીવનના અનુભવ, દર્દનાક પ્રસંગો અને ચિંતા આ છુપાયેલા દુઃખને ફરીથી જાગૃત કરી શકે છે.
મને એ વાતનો અહેસાસ થયો છે કે જ્યારે દુઃખની વાત આવે ત્યારે કોઈ તર્ક કામ કરતું નથી. કારણ કે તે એક પ્રકારની પીડા છે, જેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે પૂછીએ છીએ કે શું આ પીડા પાછળ કોઈ કારણ છે? તેનો અર્થ શું છે? શું મારા દુઃખનું કોઈ કારણ છે? શું તે મેં લીધેલા કોઈ નિર્ણયનું પરિણામ છે? સરળ પ્રકારના ક્ષણિક દુઃખ માટે કદાચ જવાબ મળી શકે, પરંતુ જટિલ દુઃખ માટે પૂરતા જવાબો મળવા મુશ્કેલ છે. આવા સંજોગોમાં, વ્યક્તિ અને તેના પ્રિયજનોને દુઃખને જીવનના એક ભાગ તરીકે સ્વીકારવું પડે છે. આવા સંજોગોમાં, દુઃખ સતત પીડિત અને તેના પ્રિયજનોને જીવનના અર્થ અને હેતુ વિશે હૃદયદ્રાવક પ્રશ્નો પૂછવા માટે મજબૂર કરે છે.
જોકે બધા આવું કરતા નથી, પણ કેટલાક લોકો નકારાત્મકતા અથવા કડવાશમાં પીછેહઠ કરવાને બદલે દુઃખ સામે ઝઝૂમવાનું પસંદ કરે છે. આવા લોકો જીવનના રહસ્યના અંધારા માર્ગોમાં પ્રવેશે છે, જ્યાં માત્ર પ્રશ્નો જ આ માર્ગને પ્રકાશિત કરે છે. આ એકલતાભરી અને અલગ કરી દેનારી આંતરિક યાત્રા છે, કારણ કે માત્ર તેઓ પોતે જ તેમના દુઃખનો સંપૂર્ણ અનુભવ કરી શકે છે. જોકે, દુઃખના મૂળ સ્ત્રોત સાથેનો સામનો પરિવર્તન, નવી આંતરદૃષ્ટિ, ડહાપણ અને સાજા થવાની એવી શક્તિ તરફ દોરી શકે છે જે અન્ય લોકો સાથે વહેંચી શકાય.
મારા માટે આ પ્રવાસ અત્યંત અંગત અને ખાનગી હતો, પરંતુ તે જ સમયે મને મારી પોતાની ભાવનાત્મક સ્મૃતિઓના પ્રકાશમય અંધકારમાં ઉતરતી વખતે સાથ આપવા માટે જ્ઞાની માર્ગદર્શકો, શિક્ષકો અને સલાહકારો મળ્યા. હાવર્ડ થર્મન એવા માર્ગદર્શકોમાંના એક હતા:
“વ્યક્તિ દુઃખના સહવાસ અને પીડિતોના સમુદાયમાં પ્રવેશે છે. માત્ર એક જ વાત મનમાં મક્કમપણે રાખવાની છે કે, દુઃખ વ્યક્તિગત રીતે અલગ અલગ હોવા છતાં, પીડિત વ્યક્તિ સમુદાય સુધી પહોંચવાનો માર્ગ શોધી શકે છે. આનાથી તેની પીડા ઓછી થતી નથી, પરંતુ તે અન્ય ઘણા લોકોને તેમાં સમાવી શકે છે. ક્યારેક તે પોતાના બોજ દ્વારા પોતાના સાથીઓ પ્રત્યે વધુ ઊંડી સમજ મેળવે છે, જેમના અસ્તિત્વનો તેને પોતાના અંધકારમાં અહેસાસ થાય છે. તેઓ આ અંધકારના માર્ગમાં તેના સાથી પ્રવાસીઓ છે.”
મારા પોતાના અનુભવની અસહ્ય પીડાનો સામનો કરવા માટે અને અન્ય લોકો સાથે વહેંચી શકાય તેવા — પરિવર્તનના પ્રકાશિત —- સાજા થવાના માર્ગને શોધવાની આશામાં, દુઃખ સાથે ઝઝૂમવું જરૂરી હતું. ફરીથી, થર્મનના શબ્દો અહીં સાર્થક ઠરે છે:
“આથી જ આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો તેમના દુઃખ દ્વારા ઊંડાણપૂર્વક બદલાઈ જાય છે. તેમના ચહેરા પર એક સૂક્ષ્મ તેજ અને સ્થિર શાંતિ આવે છે; તેમના સંબંધોમાં એક એવી જીવંત ઉદારતા આવે છે જે માર્ગમાં મળતા તમામ લોકો માટે હૃદયના બંધ દરવાજા ખોલી નાખે છે. આવા લોકો શાંત આંખોથી જીવન તરફ જુએ છે. જીવનમાં દુઃખ દ્વારા એવા રસ્તાઓ ખુલે છે જે અન્ય કોઈ રીતે ખુલતા નથી. ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને પમૂળભૂત જવાબો મળે છે. જીવનના એવા પાસાઓ વિશે આંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય છે જે મુશ્કેલી આવતા પહેલા છુપાયેલા અને અસ્પષ્ટ હતા.”
મેં સત્યની એક પ્રાચીન, ભૂગર્ભ નદી શોધી કાઢી જે બધી પરંપરાઓમાં વહે છે. મેં શોધી કાઢ્યું કે શ્રદ્ધા અને નિશ્ચિતતા એક સમાન નથી. ઈશ્વર શું, શા માટે અને કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની અતિશય નિશ્ચિતતા ઈશ્વરના માર્ગમાં અવરોધ બને છે.
ચિંતન માટે બીજ પ્રશ્નો:
• "ઈશ્વર શું, શા માટે અને કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની અતિશય નિશ્ચિતતા ઈશ્વરના માર્ગમાં અવરોધ બને છે" - આ વિચાર સાથે તમે કેવી રીતે સહમત છો?
• શું તમે તમારા જીવનનો એવો કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યારે દુઃખથી ભાગવાને બદલે તેની સામે ઝઝૂમવાથી તમે જીવનના રહસ્યોની અંધારી ટનલોમાં પહોંચ્યા હોવ અને ત્યાં તમને અણધાર્યા સાથીઓ અથવા તમારી પોતાની પીડાની નવી સમજ મળી હોય?
• તમારી જાતને અને તમારા લોકોને સુરક્ષિત રાખવા માટે એક મજબૂત 'પવિત્ર વાહન' (Sacred Vessel) તૈયાર કરવામાં તમને શું મદદ કરે છે?