“ બસ, વિલીન થવાનું જોવું ”
— શિનઝેન યંગ દ્વારા
હું કઈ તકનીકને આત્મબોધ (એનલાઇટનમેન્ટ) સુધી પહોંચવાનો સૌથી ઝડપી માર્ગ તરીકે પસંદ કરું? આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવે છે. આ એક મુશ્કેલ પસંદગી છે, પરંતુ મને લાગે છે કે હું તે તકનીકને પસંદ કરીશ જેને હું “જસ્ટ નોટ ગોન” (અર્થાત્ ‘માત્ર વિલીન થવાનું જોવું’) કહું છું.
આપણે બધાએ આ અનુભવ કર્યો છે—કૂતરાનું ભસવું, અને પછી ભાસવાનું બંધ થઈ જવું. કોઈ વિમાન ઉપરથી પસાર થાય છે—તમે તેને સાંભળો છો, સાંભળો છો, તેની અવાજ ધીમો થતો જાય છે, અને પછી કોઈ ક્ષણે તે નાજુકથી સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. [...] વહેલા કે મોડા, બધા જ ઇન્દ્રિય અનુભવો અંત પામે છે.
આ વાત સામાન્ય લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે અત્યંત ઊંડી છે. જો તમે તે ક્ષણને નોંધવા લાગો જ્યારે કોઈ વસ્તુ પૂર્ણ થાય છે, ત્યારે તે તમારું ધ્યાન એક મહત્વની દિશામાં લઈ જાય છે. જ્યાં વસ્તુઓ શૂન્યમાં વિલીન થાય છે, એ જ સ્થળ છે જ્યાંથી તે શરૂઆતમાં જન્મ લે છે. દર વખત તમે કોઈ ‘વિલીન થવાનું’ જોશો, ત્યારે ક્ષણભર માટે તમારું ધ્યાન એ તરફ વળે છે જેને ચેતનાનું સૌથી ઊંડું સ્તર કહી શકાય.
‘ગોન’ (વિલીન થવું)ની સમૃદ્ધિનો પહેલો સ્વાદ કદાચ એવો હોઈ શકે છે કે અસુવિધા અથવા પીડાના સમયે તે તમને રાહત આપે છે. ત્યારબાદનો સ્વાદ એવો હોઈ શકે છે કે તમે નોંધો કે દરેક શૂન્યતાની ક્ષણમાંથી એક પ્રકારની શાંતિ ફેલાય છે. પરંતુ જેમ જેમ ‘ગોન’ પ્રત્યે તમારી સંવેદનશીલતા વધે છે, તેમ તેમ કેટલીક એવી બાબતો સ્પષ્ટ થવા લાગે છે જે તર્કની દ્રષ્ટિએ બિલકુલ સમજાય તેવી નથી, છતાં તે આ અનુભવનો અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ બને છે.
તમે તે ‘વિલીનતા’ સાથે એક પ્રકારની તૃપ્તિ અથવા પૂર્ણતાનો અનુભવ કરવા લાગો છો. સંસ્કૃતમાં એવો એક શબ્દ છે જેનો અર્થ એક સાથે ‘અંત’ અને ‘તૃપ્તિ’ બંને થાય છે—એવી તૃપ્તિ, જાણે તમારી તરસ શમી ગઈ હોય. દુનિયાની અન્ય કોઈ ભાષામાં આ બંને ધારણાઓ એક જ શબ્દમાં આ રીતે જોડાયેલી નથી—શૂન્યતાનો ભાવ અને સંપૂર્ણ સંતોષ અથવા પૂર્ણતાનો ભાવ. સંસ્કૃતમાં એ શબ્દ છે—નિર્વાણ.
‘ગોન’માંથી એક બીજી બાબત પણ જન્મ લઈ શકે છે—અને તે છે પ્રેમની લાગણી. આ બિલકુલ તર્કસંગત લાગતું નથી, કારણ કે આ અનુભવ એટલો નિરપેક્ષ અને શૂન્યસમાન છે. તો પછી માનવીના શ્રેષ્ઠ ગુણો એવી કોઈ વસ્તુના સંપર્કથી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે જે સંપૂર્ણપણે અમાનવીય જણાય છે? આ સમજાતું નથી, પરંતુ એ જ તેનો માર્ગ છે.
મનન માટેના મૂળ પ્રશ્નો
૧- આ વિચાર વિશે તમે શું વિચારો છો કે જ્યારે વસ્તુઓ વિલીન થાય છે, ત્યારે તે ક્ષણ તમારું ધ્યાન ચેતનાના સૌથી ઊંડા સ્તર તરફ લઈ જઈ શકે છે? તમે તેને તમારા વ્યક્તિગત અનુભવો સાથે કેવી રીતે જોડો છો?
૨- શું તમે તમારા જીવનની એવી કોઈ ઘટના શેર કરી શકો છો જ્યાં કોઈ ઇન્દ્રિય અનુભવના અંતે તમને અણધારી શાંતિ અથવા તૃપ્તિનો અનુભવ થયો હોય?
૩- તમારા દૈનિક જીવનમાં ‘ગોન’ (વિલીન)ના ક્ષણો પ્રત્યે જાગૃતિ વિકસાવવામાં તમને શું મદદ કરે છે, જેથી તમારા અંદર ઊંડી તૃપ્તિ અને પ્રેમની ભાવના વિકસે?
Shinzen Young is a meditation teacher, and excerpt above is taken from his book 'Science of Enlightenment.' Excerpted above from here.