અવિરત પ્રાર્થના
આર.એમ. ફ્રેન્ચ દ્વારા
પેન્ટેકોસ્ટ પછીના ચોવીસમા રવિવારે હું લિટરજી દરમિયાન મારી પ્રાર્થનાઓ કરવા ચર્ચ ગયો હતો. થેસ્સલોનિકાવાસીઓને લખેલા સંત પૌલના પ્રથમ પત્રમાંથી વાંચન ચાલી રહ્યું હતું અને તેમાંના શબ્દોમાં મેં આ સાંભળ્યું— "અવિરત પ્રાર્થના કરો." આ વાક્યએ મારા મન પર ગહન અસર કરી, અને મેં વિચારવાનું શરૂ કર્યું કે અવિરત રીતે પ્રાર્થના કરવી કેવી રીતે શક્ય છે, કારણ કે માણસને પોતાની રોજગારી માટે અન્ય ઘણી બાબતોમાં પણ ધ્યાન આપવું પડે છે. મેં મારી બાઇબલ ખોલી અને મારી આંખે એ જ શબ્દો વાંચ્યા, જે મેં સાંભળ્યા હતા, એટલે કે આપણે હંમેશાં, દરેક સમયે અને દરેક સ્થળે, હાથ ઊંચા કરીને પ્રાર્થના કરવી જોઈએ. મેં ઘણો વિચાર કર્યો, પણ આ અવિરત આંતરિક પ્રાર્થનાનો અર્થ સમજાતો નહોતો.
મારી અંદર જાણવાની ઝંખના અને તીવ્ર જિજ્ઞાસા જાગી. દિવસ-રાત આ વિષય મારા મનમાંથી હટતો નહોતો. [મેં એક વડીલને પૂછ્યું], "કૃપા કરીને મને અપોસ્ટલના શબ્દો 'અવિરત પ્રાર્થના કરો' નો અર્થ સમજાવો. અવિરત રીતે પ્રાર્થના કરવી કેવી રીતે શક્ય છે? મને બહુ જાણવાની ઈચ્છા છે, પણ હું બિલકુલ સમજી શકતો નથી."
"ઈશ્વરનો આભાર માનો, મારા પ્રિય ભાઈ, કે ઇશ્વરે તમારામાં અવિરત આંતરિક પ્રાર્થના માટેની આ અશમિત તરસ પ્રગટ કરી છે. તેમાં તમને ઈશ્વર તરફથી બોલાવવું સમજો અને શાંત થાવ. વિશ્વાસ રાખો કે અત્યાર સુધી તમારા અંદર જે થયું છે તે તમારી ઈચ્છા અને ઈશ્વરના અવાજ વચ્ચેની સંગતતાનું પરીક્ષણ છે..."
તમને આ સમજ આપવામાં આવી છે કે અવિરત આંતરિક પ્રાર્થનાનો દૈવી પ્રકાશ ન તો આ જગતની બુદ્ધિથી પ્રાપ્ત થાય છે, ન તો માત્ર બાહ્ય જ્ઞાનની ઈચ્છાથી, પણ તે તો અંતરમાં વિનમ્રતા અને હૃદયની સાદગી સાથેના વ્યવહારિક અનુભવથી પ્રાપ્ત થાય છે. એટલા માટે એ આશ્ચર્યની વાત નથી કે તમે અત્યાર સુધી પ્રાર્થનાના મૂળભૂત કાર્ય વિશે કંઈ જાણી શક્યા નથી કે તે અવિરત રીતે કેવી રીતે થઈ શકે તેનું જ્ઞાન મેળવી શક્યા નથી.
ખરેખર પ્રાર્થના વિશે ઘણા બધા ઉપદેશો આપવામાં આવ્યા છે, અને અનેક લેખકોની શીખવણીઓમાં પણ તે વિષે ઘણી માહિતી મળે છે. પરંતુ મોટાભાગના આ તર્કો અનુમાન અને સ્વાભાવિક બુદ્ધિ પર આધારિત હોય છે, વ્યવહારિક અનુભવ પર નહીં, તેથી તેઓ પ્રાર્થનાની ગુણવત્તા વિષે તો બહુ સારું બોલે છે, પરંતુ તેના સાચા સ્વભાવ વિશે નહીં. કોઈ પ્રાર્થનાની આવશ્યકતા વિષે સુંદર રીતે દલીલ કરે છે, કોઈ તેની શક્તિ અને જે આશીર્વાદો પ્રાપ્ત થાય છે તેના વિષે બોલે છે, ત્રીજો પ્રાર્થનામાં પરિપૂર્ણતાની તરફ દોરી જતી વાતો કરે છે—જેમ કે ઉદ્દીપનાની જરૂરિયાત, ધ્યાનપૂર્વકનું મન, હૃદયની ઊર્મિ, વિચારોની પવિત્રતા, શત્રુઓ સાથે સમાધાન, વિનમ્રતા, પશ્ચાતાપ વગેરે.
પણ પ્રાર્થના શું છે? અને માણસ પ્રાર્થના કરવાનું કેવી રીતે શીખે?
આ પ્રશ્નો મૂળભૂત અને અગત્યના હોવા છતાં, આજકાલના ઉપદેશકો પાસેથી આ પ્રશ્નોનો ચોક્કસ જવાબ બહુ દુર્લભ છે. કારણ કે આ પ્રશ્નો એવી દલીલો કરતાં વધુ મુશ્કેલ છે, જેમના વિષે હમણાં વાત થઈ, અને આ પ્રશ્નો માટે માત્ર શાળાના ભણતરની નહિ, પણ ગુઢ આધ્યાત્મિક જ્ઞાનની જરૂર હોય છે...
અને તેમાં સૌથી દુઃખદ વાત તો એ છે કે જગતની ખાલી ઘમંડભરી બુદ્ધિ તેમને દૈવી બાબતો માટે માનવીય ધોરણો લાગુ કરવાની દિશામાં દોરી જાય છે. ઘણા લોકો પ્રાર્થના અંગે ઊંધી સમજ ધરાવે છે—એવું માને છે કે સારા કર્મો અને દરેક પ્રકારની પૂર્વ તૈયારી આપણને પ્રાર્થના લાયક બનાવે છે. પણ હકીકત એ છે કે પ્રાર્થના એ છે જે સારા કર્મો અને તમામ ગુણોના ફળ આપે છે. જે લોકો આમ વિચારે છે, તેઓ ભૂલથી પ્રાર્થનાના ફળોને અને પરિણામોને પ્રાર્થના સુધી પહોંચવાનો માર્ગ માને છે, અને એ રીતે તેઓ પ્રાર્થનાની શક્તિને ઓછી મૂલ્યવાન બનાવી દે છે.
અને આ તો પવિત્ર શાસ્ત્રોના ખુલ્લા વિરોધમાં છે, કારણ કે સંત પૌલે કહેલું છે—"હું આપેલાં ઉપદેશમાં સૌ પ્રથમ વિનંતિઓ કરવામાં આવે તે માટે હું આગ્રહ કરું છું" (1 તીમો. 2:1). પૌલના આ શબ્દોમાં પ્રાર્થના વિષે પ્રથમ અને મુખ્ય વાત એ છે કે બધાથી પહેલા પ્રાર્થનાનું કાર્ય આવે છે: "તેથી હું ઉપદેશ આપું છું કે પ્રાર્થના જ સૌ પ્રથમ છે." એક ખ્રિસ્તી માટે અનેક સારા કાર્યો કરવાં ફરજિયાત છે, પણ બધાથી પહેલાં તેને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રાર્થના વગર કોઈપણ સારા કાર્ય પૂરા થઈ શકે નહીં. પ્રાર્થના વિના તે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ શોધી શકતો નથી, તેને સત્યની સમજ થઈ શકતી નથી, તે પોતાની ઇન્દ્રિયોની તૃષ્ણા અને લાલસાને દૂર કરી શકતો નથી, તેના હૃદયકમળ પર ઇસુ ખ્રિસ્તનો પ્રકાશ છવાઈ શકતો નથી, અને તે ઈશ્વર સાથે ઉદ્ધારક એકતા પ્રાપ્ત કરી શકતો નથી.
આમાંથી કશું પણ સિદ્ધ થઈ શકે નહીં જો તેની પહેલા સતત પ્રાર્થના ન થાય. હું ‘સતત’ શબ્દનો ઉપયોગ કરું છું કારણ કે પરિપૂર્ણ પ્રાર્થના આપણા હાથમાં નથી; જેમ કે પૌલ કહે છે: "અમે કેવી રીતે પ્રાર્થના કરવી તે જાણતા નથી" (રોમ. 8:26). તેથી વારંવાર અને હંમેશાં પ્રાર્થના કરવી એ યોગ્ય છે, કારણ કે આ આપણા હાથમાં છે અને એ રીતથી આપણે પ્રાર્થનાની પવિત્રતામાં પ્રવેશ કરી શકીએ છીએ—જે સર્વ આધ્યાત્મિક આશીર્વાદોની માતા છે. "માતાને પકડી લ્યો, તો તે બાળકો લાવી આપશે," તેમ સીરીયન સંત આયઝેકે કહ્યું છે.
પહેલાં પ્રાર્થનાની શક્તિ મેળવો, પછી તમને અન્ય તમામ સદ્ગુણો સહજ રીતે સરળ લાગશે. પરંતુ જેમને આનો વ્યવહારુ અનુભવ ઓછો છે અને જેમણે પવિત્ર પાદરીઓની ઊંડી શીખવણીઓમાંથી સમજ નથી મેળવેલી, તેમને આ વિષે સ્પષ્ટ જ્ઞાન નથી હોતું અને તેઓ તેના વિષે બોલે છે, પણ તે ખૂબ ઓછું હોય છે.
વિચાર માટેના બીજ પ્રશ્નો:
- તમારા માટે "અવિરત પ્રાર્થના" નો અર્થ શું છે?
- શું તમે તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરી શકો છો જ્યારે પ્રાર્થના નિયમ કે અનુશાસનમાંથી નહીં, પરંતુ ઊંડી ઝંખનામાં થી ઉદભવી હોય?
એ અનુભવથી તમારી પ્રાર્થના વિષેની સમજણમાં શું ફેર આવ્યો?
- શું તમને લાગે છે કે સારા કર્મો તમને પ્રાર્થના તરફ લઈ જાય છે, કે પ્રાર્થના તમને સારા કર્મો કરવા તરફ લઈ જાય છે?
- શું તમારા કોઈ અનુભવે આ વિચારધારાને ક્યારેય પલટાવ્યું છે?
"દૈવી બાબતો માટે માનવીય ધોરણ લાગુ પાડવો" એટલે શું?