રૂપાંતરણ
માઈકલ સિંગર દ્વારા,
આ ઊર્જા પોતાની જાતને વ્યક્ત કરી રહી છે કારણ કે તમે તેને અંદર સંગ્રહિત કરી રાખી છે. તમે જે રીતે વિચારો છો — "હું નાનપણથી જ આવો છું" — તે એટલા માટે છે કારણ કે ભૂતકાળમાં કંઈક બન્યું હતું અને તમારામાં કેટલીક પેટર્ન (ઘરેડ) બની ગઈ છે. તમારું મન તમારું શત્રુ નથી. તમારું નીચલું હૃદય તમારું શત્રુ નથી. હકીકતમાં, તે તમારા શરીર જેવું જ છે, જે અશુદ્ધિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે જ તમને તાવ આવે છે, એટલા માટે જ ગૂમડાં થાય છે. આપણને તે ગમતું નથી, પરંતુ તે અશુદ્ધિઓને બહાર કાઢવાનો પ્રયાસ છે.તમારું મન અને તમારું હૃદય પણ બરાબર આવું જ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે: તમે આ બધી વસ્તુઓ મારી અંદર ભરી દીધી છે — એવી વસ્તુઓ જે તમને ગમતી નહોતી, એવી વસ્તુઓ જેમાં તમે અસ્વસ્થ હતા — અને હવે મારે તેને બહાર કાઢવી છે.
તેથી, જો તમે આ ઊર્જા ઓમાં ખેંચાઈ ન જવાનું શીખી શકો, અને તેના બદલે તેમને સ્વીકારીને ફક્ત ઉપર આવવા દો, તો રૂપાંતરણ ની કુદરતી પ્રક્રિયા શરૂ થશે. તેનો અર્થ શું છે? પહેલા એ ઊર્જા નિમ્ન સ્તરની હતી. તે ક્રોધ હતો, ડર હતો, શરમ હતી. ભૂતકાળની યાદોને લીધે એ અંદરથી જાગૃત થઈ હતી.
તો તમે તે સમયે શું કરશો? તમે એકદમ શાંત થઈ જાઓ અને સમજો કે આ તમારા ભૂતકાળની વસ્તુઓ છે જે તમારી અંદર થી ઉપર આવી રહી છે. અને તેથી તમે હળવા પડો. તો પછી પેલી શરમજનક ઊર્જા નું શું થાય છે? અચાનક તેને નીચે દબાવનારું કોઈ નથી હોતું. કોઈ પ્રતિકાર રહેતો નથી. તે ઉપર આવે છે. "પણ હવે મને બહુ અકળામણ અનુભવાય છે." શાંત રહો. "હવે મને અત્યાર સુધીની સૌથી વધુ અકળામણ અનુભવાય છે. હે ભગવાન, આ તો બહુ આકરું છે." શાંત રહો. તેમાં દખલ ન કરો. અને અચાનક, તે પ્રેમ માં પરિવર્તિત થઈ જાય છે.
ઊર્જા ઉચ્ચ સ્તર પર આવી ગઈ. બધી ઊર્જા એક જ છે. અંદર માત્ર એક જ ઊર્જા છે. તમે તમારી અંદર જે અલગ-અલગ પેટર્ન બનાવી છે, તેના કારણે ઊર્જા અલગ રીતે વ્યક્ત થઈ રહી છે. જેમ જેમ તમે તેને મુક્ત કરો છો, તેમ તેમ તેને હવે અંદર રહેવાની જરૂર નથી. તેની પાછળ રહેલી ઊર્જા, જે આ પેટર્ન ને દૂર ધકેલી રહી છે, તેના કારણે અચાનક તમે “શક્તિ” નો અનુભવ કરવા લાગશો અને તે “શક્તિ” માં ફેરવાઈ જશે. તેને જ ઊર્જા ના સ્વભાવનું રૂપાંતર કહેવામાં આવે છે. તે ક્રોધ, ડર, અકળામણ કે અપરાધભાવ તરીકે વ્યક્ત થઈ રહી હતી. અને તમે જ્યારે એમ કહેવા તૈયાર થયા કે, "ભલે તે ઉપર આવે" — અને તે અવરોધને તમે દૂર થવા દીધો — તો તે અવરોધની પાછળ જે “શક્તિ” છે તેનો તમે વધુ ને વધુ અનુભવ કરશો, અને અંતે તમને સમજાશે કે આ બધી પ્રક્રિયા ખરેખર તો તેના માટે જ હતી.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
તમારા મન અને હૃદય તમારા દુશ્મન નથી, પરંતુ હકીકતમાં, જેમ શરીર તાવ કે ગુમડાની દ્વારા "અશુદ્ધિઓને બહાર કાઢવાનો પ્રયત્ન" કરે છે, તેમ મન અને હૃદય પણ કરી રહ્યા છે — આ વિચાર વિશે તમારું શું માનવું છે?
શું તમે તમારા જીવનનો એવો કોઈ અનુભવ વર્ણવી શકો છો, જ્યારે તમારી અંદર અસ્વસ્થ કરી દે તેવા ભાવો — જેમ કે ક્રોધ, ડર કે શરમ — જાગ્યા હોય અને જ્યારે તમે તેનો પ્રતિકાર કર્યો અથવા તેને મુક્તપણે વહેવા દીધા ત્યારે શું પરિણામ આવ્યું?
જ્યારે કોઈ મુશ્કેલ લાગણી સપાટી પર આવે, ત્યારે તમને શાંત રહેવામાં અને તેમાં દખલ ન કરવામાં શું મદદરૂપ થાય છે? એવો વિશ્વાસ કેવી રીતે કેળવો છો કે જો તમે તેને માત્ર ઉપર આવવા દેશો, તો તે ઊર્જા પોતે જ કોઈ હળવા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે?