સંકલ્પથી જીવવું, સોદાબાજીથી નહીં
— કોશિન પેલે એલિસન દ્વારા
જેમ જેમ નવું વર્ષ નજીક આવે છે, તેમ હું ‘સંકલ્પ’ (Vow) વિષે વિચારવા લાગું છું. ઝેન સમુદાયોમાં આ પોતાની પ્રતિબદ્ધતાઓને ફરીથી દૃઢ કરવાની પરંપરાગત ઘડી છે. આ નવા વર્ષની સામાન્ય પ્રતિજ્ઞાઓ જેવું નથી; પરંતુ આપણે કેવી રીતે જીવીએ છીએ અને આપણે કોણ છીએ—એ માટે અતિ આવશ્યક બાબત છે. વર્ષો સુધી હું ઝેન્ડો (ધ્યાન કક્ષ)માં બેસી ને એમ વિચારતો હતો: ‘હું કેવુ કરી રહ્યો છું? તમને નથી લાગતું કે હું સારો છું? શું મને બદલામાં કોઈ ઈનામ કે શાબાશી મળી શકે?’
લેણ-દેણ (સોદાબાજી) વાળી માનસિકતા સાથે આપણે દરેક વસ્તુ તોલીએ છીએ. ધ્યાન સારું હતું કે ખરાબ? મન લાગેલું હતું કે ભટક્યું? પછી આપણે નક્કી કરીએ છીએ કે આ અભ્યાસ આપણાં કામનો છે કે નહીં.
એક જૂની કહેવત છે: “આ સંસારના ચક્કરોમાં ફસાઈ રહેવું કેટલું દુઃખદ છે.” જ્યારે હું આ સોદાબાજી વાળી વિચારસરણીમાં ફસાઈ જાઉં છું અને દરેક કાર્ય બદલ પ્રશંસા કે ક્રેડિટ ઇચ્છું છું, ત્યારે બહુ દુઃખ થાય છે. ત્યારે આધ્યાત્મ પણ માત્ર એવી જગ્યા બની જાય છે જ્યાં હું ઈચ્છું છું કે લોકો મને ઓળખે અને કહે કે હું બહુ સારો છું.
સંકલ્પ આવો હોતો નથી; એ કોઈ સોદો નથી. એ તો એ ઢાંચો અથવા આકાર વિશે છે જેમાં આપણે આપણું જીવન ઢાળીએ છીએ. સંકલ્પ સાથે જીવવું—એ જ ખરેખરનો અભ્યાસ છે.
મહાત્મા બુદ્ધે કહ્યું હતું કે સંકલ્પ આપણા અભ્યાસની કરોડરજ્જુ છે. તેના વગર બધું ધરાશાયી થઈ જાય છે. આપણો બોધિસત્વ સંકલ્પ બોધિધર્મ પાસેથી આવે છે, જેમણે કહ્યું હતું: ‘દુનિયામાં દુઃખ બહુ મોટું છે; હું તેને સમાપ્ત કરવાનો સંકલ્પ લઉં છું. ભલે લોકો અનગણિત હોય, હું બધાને બચાવવાનો સંકલ્પ લઉં છું.’
પોતાની શિક્ષામાં બોધિધર્મે કહ્યું હતું: ‘જે લોકો દૃઢ સંકલ્પ વિના સચોટ માર્ગની શોધ કરે છે, તેઓ પાયાં વિના ઘરની જેમ હોય છે.’
બોધિધર્મના વિચારોમાં કોઈ ફાજલ ભાવુકતા નથી. તેથી જ મને તેઓ ગમે છે. તેઓ આપણને ‘કોઈ વાંધો નહીં, આ મુશ્કેલ છે’ કહીને ઢીલ નથી આપતા. તેઓ કહે છે, ‘હા, આ મુશ્કેલ છે.’ અને પછી પૂછે છે: ‘તમારા જીવનના પાયા માં શું છે? (તમારું જીવન કયા મૂલ્યો અને સિદ્ધાંતો પર ટકેલું છે?) તમારા જીવનના કેન્દ્રમાં શું છે? (કઈ એવી ઊંડી સત્યતા કે હેતુ છે જેના આસપાસ તમારી આખી દુનિયા ફરે છે?)’
આ માત્ર મારા કે તમારા વિષે નથી. અને આ માત્ર આજના સમય વિષે પણ નથી. આપણે ગઈકાલ, આજ અને આવનારા કાલ—દરેક સમયે—આ દુનિયાની સેવા કરવાનો સંકલ્પ લઈ શકીએ છીએ.
ડોગેન ઝેંજી ‘એહેઇ કોરોકુ’માં કહે છે કે સંકલ્પ જ અભ્યાસનું હૃદય છે. સંકલ્પ વિના ન તો કોઈ અભ્યાસ છે અને ન તો કોઈ સત્યનો અનુભવ. જો આપણે આપણા દરેક વિચાર, શબ્દ અને કાર્યમાં સંકલ્પને જીવતા નથી, તો સમજવું કે કોઈ અભ્યાસ થતો નથી.
આ મહત્વનું નથી કે હું મારા સંકલ્પ વિશે શું બોલું છું. સંકલ્પ દુનિયા સાથે કરેલું કોઈ વચન નથી. એ તો જીવન જીવવાની રીત છે. શું આ રીત આપણા આસપાસના લોકો માટે આપણા કર્મોમાં દેખાય છે?
સંકલ્પ એ નથી જે આપણા મનમાં છે. સંકલ્પ એ છે જે આપણે આપણા શરીરથી અને જીવનમાં વાસ્તવમાં કરીએ છીએ. તેમાં વ્યવસ્થિત હોવું જરૂરી નથી. મારા ગુરુએ કહ્યું હતું: ‘તમને વ્યવસ્થિત બનવા માટે નહીં, પરંતુ સંકલ્પ પર અડીખમ રહેવા માટે કહેવામાં આવ્યું છે.’
વ્યવસ્થિત બનવાની કોશિશ ઝડપથી થાકી જાય છે, પરંતુ સંકલ્પ માનવીને સીધો ઊભો રાખે છે. આપણામાંથી ઘણા લોકો પાછળ વળી પસ્તાય છે—‘હું આટલા વર્ષો સુધી શું કરતો રહ્યો?’ એનો કોઈ ફરક પડતો નથી. ફરક એનો પડે છે કે તમે અત્યારે શું કરી રહ્યા છો.
આત્મચિંતન માટેના બીજ પ્રશ્નો:
જ્યારે આપણે સંકલ્પને અન્યની નજરે સારા દેખાવાની કે પૂર્ણતા હાંસલ કરવાની કોશિશના બદલે, પોતાના જીવનની દિશા નક્કી કરવાનું સાધન માનીએ છીએ—ત્યારે શું ફેરફાર આવે છે?
શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ દૃઢ સંકલ્પે તમને બાંધણની લાગણીના બદલે અંદરથી હળવાશ અને મુક્તિનો અનુભવ કરાવ્યો હોય?
તમને શું સહારો આપે છે એ સમજવામાં કે સંકલ્પ કોઈ કઠોર નિયમ નથી, પરંતુ જાગૃત રીતે જીવવાનો અભ્યાસ છે?