The Laughter Thief


Image of the Weekહાસ્યનો ચોર
સોરેન ગોર્ડહેમર દ્વારા,


તાજેતરમાં મેં વાંચ્યું કે સરેરાશ 4 વર્ષનું બાળક દિવસમાં લગભગ 300 વખત હસે છે. અને સરેરાશ 40 વર્ષની વ્યક્તિ? માત્ર ચાર વાર.

તો, જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણામાંથી ઘણા લોકો પોતાનું હાસ્ય કેમ ગુમાવી દે છે?

હા, પુખ્તવય જવાબદારીઓ સાથે આવે છે જેનો બાળકોને સામનો કરવાનો હોતો નથી. પરંતુ છતાં, એમ લાગે કે આપણે હાલ કરતાં થોડું વધુ હસતા હોત.

તો કોણ - અથવા શું - આપણું હાસ્ય અને આનંદ ચોરી ગયું છે? તેનું એક કારણ આધુનિક જીવન છે, જેમાં પડકારો અને દબાણ છે. ચાર વર્ષના બાળકોએ બિલ ચૂકવવા પડતા નથી. પણ તેનું એક બીજું કારણ આપણું મન અને જીવન સાથેના આપણા સંબંધો છે.

આપણા દિવસો ‘ગમે છે’, ‘નથી ગમતું’ અને ‘આવું હોવું જોઈએ’ જેવી બાબતોના મૌન જુલમ હેઠળ ચાલે છે: "વસ્તુઓ આવી હોવી જોઈએ, તેવી નહીં. લોકોએ આમ વર્તવું જોઈએ, તેમ નહીં. દુનિયા જે છે તેના કરતાં અલગ હોવી જોઈએ."

મારા એક શિક્ષક કહેતા હતા, "આપણા આખા જીવનમાં આપણને 'આવું હોવું જોઈએ' ના નિયમો શીખવવામાં આવ્યા છે." આપણે બીજાઓ માટે આવા નિયમો રાખીએ છીએ, અને બીજાઓ આપણા માટે રાખે છે.

અને આપણું ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) એવી રીતે વર્તે છે કે જાણે હંમેશા કોઈ કટોકટી હોય - હંમેશા કઈંક બરાબર નથી.

પણ જો આપણે થોભીને આપણી જાતને પૂછીએ, "અત્યારે મારે શું તકલીફ છે?" તો આપણે શું જવાબ આપીશું?

હા, પડકારો વાસ્તવિક છે. અને દુનિયાને ક્યારેક આપણી સંભાળની જરૂર પડે છે. પણ આપણે કેટલી સમસ્યાઓને અંદર સમાવી લઈએ છીએ?

જ્યારે આપણે સજાગ નથી હોતા, ત્યારે આપણું શરીર અને ચેતાતંત્ર એવી રીતે પ્રતિક્રિયા આપે છે કે જાણે હંમેશા કોઈ ખતરો હોય, હકીકતમાં ભલેને તે ન હોય.

સમય જતાં, તે સતત તણાવ 'ટોક્સિક સ્ટ્રેસ' બની જાય છે. અને મને શંકા છે કે આપણા આધુનિક વિશ્વમાં, લગભગ દરેક જણ થોડો ઘણો આ તણાવ ધરાવે છે.

આના ઉપચાર અનેક છે: કુદરત સાથે સમય વિતાવવો. મિત્રો સાથે સમય વિતાવવો. આપણી અંદર જોવુ. ખરેખર શું મહત્વનું છે તે વિચારવાનો સમય આપવો.

જ્યારે આપણે ખરેખર શું મહત્વનું છે તે જાણવા જાગૃત થઈએ છીએ... જીવન જેવું છે તેવું સ્વીકારીએ છીએ... ત્યારે આપણે જોઈએ છીએ કે આપણા પડકારોનો મોટો ભાગ 'વસ્તુ' કે 'ઘટના' નથી, પણ જે થઈ રહ્યું છે તેની સાથેનો આપણો સંબંધ છે.

"જો તમે કોઈ બાહ્ય વસ્તુથી પરેશાન થાઓ છો, તો તે પીડા વસ્તુને કારણે નથી, પણ તેના પ્રત્યેની તમારી પોતાની સમજણ ને કારણે છે; અને આ સમજણને તમે કોઈપણ ક્ષણે બદલી શકો છો." - માર્કસ ઓરેલિયસ

ત્યારબાદ આપણે આ “સતત તણાવ” વગર કાર્ય કરી શકીએ છીએ.

જ્યારે જીવન 'આવું હોવું જોઈએ'ની કસોટીને બદલે શીખવાની યાત્રા બની જાય છે, ત્યારે તેમાં હળવાશ અને સરળતા આવે છે. કદાચ ત્યારે આપણું હાસ્ય પાછું આવી શકે છે.

ચિંતન માટેના બીજ પ્રશ્નો:

આ વિચાર વિશે તમે શું માનો છો કે આપણી ઉંમર વધતા આપણું હાસ્ય ઓછું થતું જાય છે, અને તે જીવનની માંગને કારણે નહીં પણ આપણી "આવું હોવું જોઈએ" ની માન્યતાઓ અને અપેક્ષાઓને કારણે છે ?

શું તમે કોઈ એવી વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો કે જ્યારે બાહ્ય દબાણ હોવા છતાં તમે તણાવ અથવા જવાબદારીવાળા દૃષ્ટિકોણ ને હળવાશ અથવા હાસ્યવાળા દૃષ્ટિકોણમાં બદલી શક્યા હોય?

તમારા જીવનમાં વધુ હાસ્ય અને હળવાશ લાવવા માટે ખરેખર શું મહત્વનું છે તે વિશે દરરોજ વિચારવાની આદત કેળવવામાં તમને શું મદદ કરે છે?
 

Soren Gordhamer is the founder of Wisdom 2.0.


Add Your Reflection

10 Past Reflections