Just This Once


Image of the Weekફક્ત આ એક વાર
--ક્લે એમ. ક્રિસ્ટેનસેન દ્વારા

મારા પોતાના જીવનમાં ‘બસ આ એક જ વાર’ એ વિચાર કેટલો નુકસાનકારક હોઈ શકે છે તે હું કઈ રીતે સમજ્યો, તે વિશેની એક વાત હું જણાવવા માંગુ છું. હું ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મુખ્ય બાસ્કેટબોલ ટીમનો ખેલાડી હતો. અમે જીવ રેડીને મહેનત કરી અને આખી સિઝન અજેય રહીને પૂરી કરી. ટીમના એ ખેલાડીઓ મારા જીવનના સૌથી શ્રેષ્ઠ મિત્રો બની ગયા હતા. અમે NCAA જેવી જ બ્રિટનની ટુર્નામેન્ટમાં પહોંચ્યા અને સેમી-ફાઇનલ સુધી સફર કરી. પણ બન્યું એવું કે ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રવિવારે ગોઠવાઈ. મેં સોળ વર્ષની ઉંમરે ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે હું રવિવારે ક્યારેય રમીશ નહીં. આથી હું મારા કોચ પાસે ગયો અને તેમને મારી મુશ્કેલી જણાવી. તેઓ તો માની જ ન શક્યા. મારા સાથી ખેલાડીઓ પણ સ્તબ્ધ હતા, કારણ કે હું ટીમનો સ્ટાર્ટિંગ સેન્ટર હતો. ટીમના દરેક સાથીએ મારી પાસે આવીને કહ્યું, “તારે રમવું જ પડશે. શું તું ફક્ત આ એક વખત માટે તારો નિયમ તોડી ન શકે?”

હું ઊંડી શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ છું, આથી મેં એકાંતમાં જઈને શું કરવું તે અંગે પ્રભુને પ્રાર્થના કરી. મને અંતરથી સ્પષ્ટપણે અનુભૂતિ થઈ કે મારે મારી પ્રતિજ્ઞા તોડવી ન જોઈએ—અને તેથી હું એ ચેમ્પિયનશિપ મેચમાં ન રમ્યો.

ઘણી રીતે જોઈએ તો, એ એક નાનો નિર્ણય હતો. મારા જીવનમાં આવનારા હજારો રવિવારોમાંથી એ ફક્ત એક જ રવિવાર હતો. સૈદ્ધાંતિક રીતે જોઉં તો, હું બસ એ એક વખત માટે નિયમ તોડી શક્યો હોત અને પછી ફરી ક્યારેય એવું ન કરત. પરંતુ આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે ‘આવા ખાસ સંજોગોમાં, ફક્ત એકવાર માટે ચાલી જાય’ - એ તર્કવાળી લાલચને વશ ન થવાનો મારો નિર્ણય, મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક સાબિત થયો છે. એવું શા માટે? કારણ કે મારું જીવન આવા ખાસ સંજોગોના એક અવિરત પ્રવાહ જેવું જ રહ્યું છે. જો તે દિવસે મેં એ મર્યાદા ઓળંગી હોત, તો પછીના વર્ષોમાં મેં વારંવાર એ જ ભૂલ દોહરાવી હોત.

આ અનુભવ પરથી હું એ શીખ્યો કે તમારા સિદ્ધાંતોનું 98% પાલન કરવા કરતાં 100% પાલન કરવું વધુ સરળ છે. જો તમે પણ મારા કેટલાક જૂના સહપાઠીઓની જેમ, ક્ષણિક ફાયદાનું વિચારીને ‘બસ આ એક જ વાર’ કહીને ઝૂકી જાઓ છો, તો અંતે તમે જે સ્થિતિમાં હશો તેના પર તમને અફસોસ થશે. તમારે પોતે જ નક્કી કરવું પડશે કે તમારા જીવનમૂલ્યો શું છે અને તેની આસપાસ એક સ્પષ્ટ લક્ષ્મણરેખા દોરવી પડશે.

વિચાર-મંથન માટેના પ્રશ્નો:
* સિદ્ધાંતોનું ક્યારેક-ક્યારેક ઉલ્લંઘન કરવાની છૂટ આપવા કરતાં, તેનું 100% પાલન કરવું વધુ સરળ છે - આ વિચાર સાથે તમે કેટલા સહમત છો?
* શું તમે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ જણાવી શકો, જ્યારે તમારે કોઈ સિદ્ધાંત કે મૂલ્યને વળગી રહેવા માટે કોઈ કઠોર નિર્ણય લેવાનો આવ્યો હોય?
* ખાસ કરીને જ્યારે કોઈ દબાણ કે વિપરીત સંજોગો ઊભા થાય, ત્યારે તમારા જીવનમૂલ્યોને ઓળખીને તેને વળગી રહેવા માટે તમને કઈ બાબત મદદ કરે છે?
 

Excerpted from here.


Add Your Reflection

15 Past Reflections