માનવસમુદાય મર્મરેશન (લયબદ્ધ સમૂહ ) છે - આ યાદ રાખીએ.
-- જેક બુશ દ્વારા
પક્ષીઓનું મર્મરેશન ( સામૂહિક રીતે લયબદ્ધ ઊડતું પક્ષીઓનું ઝૂંડ ) એ પ્રકૃતિની ઘટનાઓમાંની મારી પ્રિય ઘટનાઓમાં એક છે – જ્યાં સ્ટાર્લિંગ પક્ષીઓ સેંકડો હજારોની સંખ્યામાં એકસાથે ઊડીને જટિલ ગતિશીલ આકૃતિઓ બનાવે છે.
એકસાથે એટલા બધા પક્ષીઓ વચ્ચેનો આ સંપૂર્ણ સમન્વય, પ્રકૃતિની એક અજાયબી છે. દસ વર્ષ પહેલા વૈજ્ઞાનિકોએ આ પક્ષીઓના વર્તનનો અભ્યાસ કર્યો અને જે જાણવા મળ્યું તે અદભૂત હતું.
જોકે પક્ષીઓ સેંકડો કે તેથી વધુના ઝૂંડમાં હોય છે, પણ તેઓનું ઊડાણ ફક્ત તેમની આસપાસના 7 પક્ષીઓની ગતિ અને વર્તન પર આધારિત હોય છે. અને આ ઘટના કદાચ પ્રકૃતિની સહજ સામુદાયિક યોજનાની અહીંયા યાદ અપાવે છે.
માનવજાત તરીકે, આપણે હમણાં પૃથ્વી પર અબજો છીએ – આપણે સૌને પોતાની વંશાવલી, પોતાની કથાઓ અને પૃથ્વી પર પોતાનું સ્થાન છે. અને જોકે આપણે એક સાથે અબજો લોકો સુધી પહોંચી શકતા નથી, પણ આપણી આપણા સમુદાય પરની અસર જ માનવતા માટેના ફેરફાર – જેમ કે સ્થિરતા અને અસ્તિત્વ – માટેનું એક માનવીય મર્મરેશનનું નિર્માણ કરે છે.
આપણી સેલ્યુલર બાયોલોજી પણ એવી જ છે – જેમાં અલગતા એ આધાર નથી. ‘કોરમ સેન્સિંગ’ એ બેક્ટેરિયા વચ્ચે રાસાયણિક સંકેતો દ્વારા થતા વાર્તાલાપને કહેવાય છે અને આ આંતરકોષીય સંવાદ જ બેક્ટેરિયાની મેટાબોલિક ક્રિયાને સુધારે છે – મેટાબોલિક ક્રિયા એટલે સંસાધનોની વહેંચણી, જે શરીર ની બધી સિસ્ટમોની કાળજી લે.
અને વધુ રસપ્રદ એ છે કે, ‘કોરમ સેન્સિંગ’ સેલ્યુલર વાર્તાલાપથી આગળ વધીને છોડની રોગપ્રતિકારકતામાં, માખીઓ અને મધમાખીઓના નિવાસના વર્તનમાં, અને માછલીઓના ઝૂંડમાં પણ જોવા મળે છે.
પ્રકૃતિનું આ વર્તન માનવસમાજ માટે પરિવર્તનકારી જવાબો ધરાવે છે કારણ કે આપણે ક્યારેય પોતાની સૃષ્ટિની કથાથી અલગ નથી હોતા, ભલે આપણે કેટલા પણ દૂર નીકળી ગયા હોઈએ. પરંતુ, ધરતી માતા, બ્રહ્માંડ અને આપણી વચ્ચેની દિવાલો તોડવા માટે મનુષ્યના એકબીજા વચ્ચેના અવરોધો તોડવાની જરૂર છે.
આપણે આજ સુધી એવા વર્તનથી કામ કર્યું છે જે આપણા જીનેટીક માળખાને અનુરૂપ નથી – બધા માણસોએ સાચી રીતે પ્રકૃતિના સહ-સર્જક તરીકે જીવવાના બદલે માત્ર પોતાને , વિખૂટા પડેલા આપણા સમાજો ને અને સુખસુવીધાઓને જ મહત્વ આપેલું છે.
પરંતુ પ્રકૃતિ આપણને દરરોજ દર્શાવે છે કે આપણે માનવસમુદાયને એક મર્મરેશન ( લયબદ્ધ સમૂહ ) તરીકે યાદ રાખીએ – આપણે એકસાથે અસ્તિત્વ માં રહીએ, આપણા માટે બનાવાયેલી યોજના મુજબ.
મનન માટેના બિજ પ્રશ્નો:
- આ વિચાર સાથે તમે કેટલા સંમત છો કે નાના સમુદાયોમાં આપણી આંતરક્રિયાઓ, “માનવીય મર્મરેશન” ની જેમ, ફેરફાર અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મોટો સામૂહિક પ્રભાવ ઉત્પન્ન કરી શકે છે ?
- શું તમે તમારી એક વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો જ્યારે નજીકના સમુદાયમાં ભાગ લેવાથી આપના અથવા અન્યના જીવનમાં મહત્વપૂર્ણ અને સકારાત્મક પરિવર્તન આવ્યું હોય?
- આપણે પ્રકૃતિની સહજ સામુદાયિક યોજના સાથે સુસંગત બની શકીએ તે માટે, તમારા નજીકના સમુદાયમાં જોડાણ અને સહયોગની ભાવના વિકસાવવામાં તમને શું મદદ કરે છે ?