સક્રિય આશાના સંકલ્પો
જોઆના મેસી દ્વારા
બે સપ્તાહના ગહન વર્કશોપના અંતિમ દિવસે, જોઆના મેસી સવારે ટહેલવા નીકળ્યા હતાં ત્યારે તેમની મુલાકાત વર્કશોપના આયોજન સ્થળે રહેતા એક યુવાન સાધુ સાથે થઈ. યુવાન સાધુએ પૂછ્યું "આજે તમારો છેલ્લો દિવસ છે, તો હવે તમે લોકોને સંકલ્પો કરાવશો, એમ ને?" જોઆનાએ જણાવ્યું “ના એવું નથી કરાવવાના ”. "ખેદજનક," સાધુ બોલ્યા, "મારા પોતાના જીવનમાં, સંકલ્પો મને ખૂબ મદદરૂપ થાય છે, કારણકે તે મારી શક્તિને હું જે કરવા માંગું છું તે માટે બળ આપે છે."
ચાલતાં ચાલતાં જોઆનાએ વિચાર્યું કે જો આપણે સંકલ્પો લઈએ, તો તે એક હાથની આંગળીઓથી વધુ ન હોવા જોઈએ. તુરત જ તેમના મનમાં નીચેના પાંચ સંકલ્પો આવ્યા :
હું મારી અને આપ સૌની માટે સંકલ્પ લઉં છું કે...
1. આ વિશ્વના કલ્યાણ અને સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે હું રોજ પ્રયત્નશીલ રહીશ.
2. આ પૃથ્વી પર મારુ જીવન સુમેળભર્યું અને અહિંસક રહે તે રીતે ખોરાક, ઉત્પાદનો અને ઊર્જાનો ઉપયોગ કરીશ.
3. આ સજીવ પૃથ્વી, આપણા પૂર્વજો, ભાવિ પેઢીઓ અને બધી પ્રજાતિના મારા ભાઈ-બહેનો પાસેથી શક્તિ અને માર્ગદર્શન મેળવીશ.
4. આપણા સંયુક્ત પ્રયત્નોમાં દરેકને મદદ કરીશ અને જરૂર પડ્યે મદદ માંગીશ.
5. એક દૈનિક સાધના અપનાવીશ જે મારું મન પવિત્ર કરે, હૃદયને બળ આપે અને આ સંકલ્પો પાળવામાં મને ટેકો આપે.
જ્યારે વર્કશોપના સભ્યોને આ સંકલ્પો વિશે પૂછવામાં આવ્યું, તો એમણે ઉત્સાહભર્યો જવાબ આપ્યો "હા, અવશ્ય!" વર્કશોપ પૂરો થતાં, તેઓ દૂર-દૂર ચાલ્યા જવાના હતા; પરંતુ આ સંકલ્પોએ એકબીજા સાથેનો અને પોતાની સાથેનો તેમનો જોડાણ નો ભાવ ઊંડો કર્યો. "હું તમારી સાક્ષીમાં સંકલ્પ લઉં છું" એ શબ્દો એવા સાથીદારોની યાદ અપાવે છે જે હરહમેંશ આપણી સાથે છે અને સહારો આપે છે.
આપણે એવા શબ્દો પસંદ કરવાની જરૂર છે જે આપણને સાચા લાગે. "સંકલ્પ"ને બદલે, જો ઇચ્છા હોય તો, આપણે તેને "વચન" અથવા "ઈરાદાની ઘોષણા" પણ કહી શકીએ. તે આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણા પ્રિય ઉદ્દેશો કયા છે અને તેમને સાકાર કરવા માટે કેવા વર્તનની જરૂર છે.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
આ વિચાર સાથે તમે કેટલા સંમત છો કે સંકલ્પો અથવા વચનો આપણી શક્તિને ઊંડા ઇરાદાઓ સાથે જોડી શકે છે?
શું તમે એક વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો જ્યાં તમારા સંકલ્પે તમને તમારા મૂલ્યો નુ પાલન કરવામાં તમને મદદ કરી હોય ?
દૈનિક સાધના દ્વારા મનને સ્વચ્છ, હૃદયને મજબૂત અને મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવામાં તમને શું મદદ કરે છે ?