Ask Why Your Mind Is Not Free


Image of the Week

મન સ્વતંત્ર કેમ નથી તે પૂછો
— જે. કૃષ્ણમૂર્તિ


‘સ્વતંત્રતા’ શબ્દનો દુનિયાભરમાં સર્વત્ર—તાનાશાહી તેમજ લોકશાહી સરકારો દ્વારા અને ધર્મો દ્વારા પણ—ઘણો દુરુપયોગ થયો છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વાવલંબન હકીકતમાં અસ્તિત્વમાં નથી, કદાચ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ કંઈક અંશે હોય. વ્યવસાય જગતમાં કે માનવે ભય અને માન્યતાઓ દ્વારા ગોઠવેલા ધાર્મિક બંધારણોમાં તે નથી; સરકારોમાં કે માનવ પ્રવૃત્તિના કોઈ પણ ક્ષેત્રમાં તે નથી. છતાં મનુષ્ય સતત દાવો કરતો રહ્યો છે કે તે સ્વતંત્ર છે અને ફરિયાદ કરતો રહ્યો છે કે પરિસ્થિતિઓ તેને ગુલામ બનાવે છે.

સ્વતંત્રતા એટલે સ્વયં માટે સ્પષ્ટ રીતે વિચારવાની સ્વતંત્રતા અને સમાજના આદેશો અથવા પોતાની વ્યક્તિગત વૃત્તિઓ મુજબ વર્તવાનું બંધ કરવું. સ્વતંત્રતા માત્ર કંઈકમાંથી મુક્તિ નથી; તે પોતે જ એક અવસ્થા છે. તેનો અર્થ મનમાની કરવાની છૂટ એવો નથી; તેથી આ શબ્દ શું સૂચવે છે તે માત્ર શબ્દોમાં નહીં પરંતુ હકીકતમાં સમજવું જરૂરી છે. અમે સ્વતંત્રતાની વ્યાખ્યા આપવા નો પ્રયત્ન કરતા નથી; દરેક વ્યક્તિ તેને પોતાની વૃત્તિ અથવા ઉછેર મુજબ અર્થ આપશે, અને કેટલાંક તો એવી કોઈ વસ્તુ છે જ નહીં એવું પણ નકારી દેશે.

સ્વતંત્રતા શોધવાથી નથી મળતી; પરંતુ મનને કેદમાં રાખે છે તે શું છે તેની સમજ દ્વારા મળે છે. જ્યારે આ કેદની દિવાલો તૂટે છે ત્યારે સ્વતંત્રતા સ્વાભાવિક રીતે આવે છે, અને તેને શોધવાની જરૂર રહેતી નથી. તેથી મહત્વનું પ્રશ્ન એ નથી કે સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત કરવી અથવા સ્વતંત્રતા શું છે; પરંતુ એ પૂછવું છે કે સમય અને પરિસ્થિતિઓનું પરિણામ બનેલું અને દુઃખ તથા સંઘર્ષના અનેક અનુભવ ધરાવતું મન સ્વતંત્ર કેમ નથી.

કોઈએ શોધવું જોઈએ કે લાખો વર્ષો બાદ પણ મન કેમ એટલું ભારે રીતે કન્ડિશન્ડ (અનુબદ્ધ/સીમિત) છે. સમાજ તેની સંસ્કૃતિઓ, કાયદાઓ, ધાર્મિક માન્યતાઓ અને આર્થિક દબાણો દ્વારા મનને કન્ડિશન્ડ બનાવે છે. આખરે મન ભૂતકાળનું પરિણામ છે, અને આ ભૂતકાળ એટલે પરંપરા. આ પરંપરામાં તે તેના તમામ કલહ, યુદ્ધો અને પીડાઓ સાથે જીવતું રહે છે. પૂછવું જોઈએ કે શું મન પોતાનાં શરતીકરણમાંથી મુક્ત થઈ શકે છે? કન્ડિશનિંગમાંથી મુક્તિ વિના માનવતા હંમેશા કેદી જ રહેશે અને જીવન યુદ્ધભૂમિ બની રહેશે.

આ તપાસમાં સૌથી પહેલું સમજવાનું છે સત્તાના સ્વભાવને. કોઈ પણ સમુદાયમાં કાયદો અને પોલીસ જરૂરી છે, પરંતુ આપણે વિચાર અને ભાવનાના આંતરિક વિશ્વમાં પણ એક ‘પોલીસવાળો’ ઊભો કરી દીધો છે. આ વિશ્વમાં પરંપરા, અનુભવ અને આદત દ્વારા આજ્ઞાપાલન ભરી દેવાયું છે—માતા-પિતાની આજ્ઞા, સમાજની આજ્ઞા, પાદરીની આજ્ઞા. પરંતુ આજ્ઞાપાલન ભયમાંથી જન્મે છે—ભૂલ થઈ જશે એનો ભય, સ્વતંત્ર રીતે વર્તવાનો ભય, અસુરક્ષિત થવાનો ભય, સમુદાયનો ભાગ ન રહી જવાનો ભય, એકલા ઊભા રહી જવાનો ભય, ભૂલ કરી બેસવાનો ભય.

કોઈ પણ અનુરૂપતા વિના સ્વાભાવિક રીતે ઉપજતી શિસ્ત એ છે—આ બધા ભયો, ચિંતા અને ઈર્ષ્યાઓનું સરળ નિરીક્ષણ; પોતાના ભયો અને મહત્ત્વાકાંક્ષાઓને એ રીતે જોવું જેમ કોઈ વૃક્ષને જુએ છે. આ જ જોવાની પ્રક્રિયા એ શિસ્ત છે. ‘શિસ્ત’ શબ્દનો અર્થ શીખવું છે, અનુરૂપતા, દમન અથવા આજ્ઞાપાલન નહીં. શરતીકરણના સ્વભાવ અને રચનાને શીખવું વ્યવસ્થા લાવે છે—પણ સમાજની તે વ્યવસ્થા નહીં, જે હકીકતમાં અવ્યવસ્થા છે.

ચિંતન માટેના બીજ પ્રશ્નો:
- સાચી સ્વતંત્રતા તેને શોધવાથી નહીં પરંતુ મનને કેદમાં રાખે છે તે શું છે તેની ઊંડી સમજ દ્વારા મળે છે—આ વિચાર સાથે તમારો સંબંધ કેવો છે?
- શું તમે એવી કોઈ વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો જેણે તમને તમારા પોતાના કન્ડિશનિંગની ઊંડાણ સમજવામાં મદદ કરી હોય અને તેમાંથી મુક્ત થવાનો અર્થ સમજાવ્યો હોય?
- તમને તમારા ભયો, ચિંતા અને ઈર્ષ્યાઓને વૃક્ષને જોવાની જેવી સરળ સ્પષ્ટતા સાથે જોવામાં શું મદદ કરે છે, જેથી અનુરૂપતા નહીં પરંતુ શીખવા પર આધારિત શિસ્ત વિકસે?
 

J. Krishnamuti was a great Indian philosopher of the 20th century.


Add Your Reflection

5 Past Reflections